શનિ જયંતી તારીખ, પૂજા વિધિ અને કથા | શનિદેવના જીવનમાંથી મળતાં મુખ્ય પાઠો | શનિ જયંતી પર કરો આ વસ્તુઓ નું દાન | Shani Jayanti Special | Best 10 Things to Learn From Shani Dev
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
શનિ જયંતી : ન્યાય અને ધાર્મિકતાના દેવ શનિદેવની આરાધનાનો દિવસ
શનિ જયંતી એ હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ પર્વો માંનું એક છે, જે જ્યેષ્ઠ માસની અમાવસ્યાના પવિત્ર દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ એ શનિદેવના જન્મદિવસ તરીકે માનવામાં આવે છે. શનિદેવનું સ્વરૂપ તપસ્વી અને ગંભીર છે. તેમનું વાહન કાગડો છે, અને તેઓનું વસ્ત્ર કાળું હોય છે, જે ગંભીરતા અને વિરક્તિનું પ્રતિક છે. શનિદેવને ધર્મના પાત્ર મુજબ ફળ આપનાર દેવતા તરીકે ઓળખવામાં આવે છે, અને તેઓના આશીર્વાદથી માણસ તેના કર્મોનું પરિણામ મેળવે છે. આમ તેમને કર્મફળદાતા, ન્યાયના દેવતા, અને સમયના નિયમક તરીકે માનવામાં આવે છે.

શનિદેવના જન્મ પ્રસંગો
શનિદેવના જન્મ વિશેના પ્રસંગો અનેક પુરાણોમાં વર્ણવાયેલા છે. મુખ્ય રૂપે સ્કંદ પુરાણ, માર્કંડેય પુરાણ અને ભગવત પુરાણમાં તેમનું વિસ્તૃત વર્ણન છે. શનિદેવ ભગવાન સૂર્યદેવ અને તેમની પત્ની છાયાના પુત્ર છે. સૂર્યદેવની પત્ની સંજ્ઞા, તપ માટે ગઈ ત્યારે તેણે પોતાની છાયારૂપ સ્ત્રી છાયા સૂર્યદેવ પાસે રાખી. છાયાથી શનિદેવનો જન્મ થયો. જન્મ સમયે છાયા તપમાં લીન હતી અને ઉત્કટ તપસ્યાના કારણે શનિદેવ જન્મથી જ કાળા વર્ણના થયા. જ્યારે સૂર્યદેવે પોતાના પુત્રને કાળું જોયું, ત્યારે તેમણે તેમનો તિરસ્કાર કર્યો. ત્યારબાદ શનિદેવે પોતાના પિતાના આ વર્તનથી નક્કી કર્યું કે તે તેમના પિતાથી પણ સવાયા થશે. પોતાના જીવનમાં ઘણી તપસ્યા કરીને બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીનું ભજન કર્યું અને તેમને આશીર્વાદ પ્રાપ્ત થયા.
જ્યારે ભગવાન શિવ શનિ દેવની ભક્તિથી પ્રસન થયા અને વરદાન માગવા કહ્યું ત્યારે શનિદેવ એ વિનમ્રતાપૂર્વક કહ્યુઃ”હે મહાદેવ! મને મારા પિતા સૂર્યદેવ થી પણ વધુ શક્તિ અને બળ આપો જેથી હું તેમના પુત્ર તરીકે તેના તિરસ્કારનું ઉત્તર આપી શકું.” ત્યારે મહાદેવ એ તેમણે કહ્યું કે તમે સુર્યના પુત્રોમાં સર્વોચ સ્થાન મેળવશો. તમે સૌ ના કર્મોનો ફળ પ્રદાન કરશો. તારી દ્રષ્ટિથી પૃથ્વી લોક તો શું દેવલોક પણ નહીં બચી શકે. તમે દરેક રાશિ માં અઢી વર્ષ પ્રભાવ કરશો અને તમારા પ્રભાવથી કોઈ મુક્ત નહીં થઈ શકે. સ્વયં યમરાજ પણ તમારી અઢીને અનુસરી ને જાતક ને મૃત્યુ પ્રદાન કરશે.
ભક્તો તારી ભક્તિથી પોતાનું જીવન સુધારી શકે છે. હું તને આશીર્વાદ આપું છું કે જેમ જેમ લોકો તારી પૂજા કરશે, તેમ તેમ તેઓ અધિક ધૈર્ય, ન્યાયપ્રેમ અને જીવનમાં સ્થિરતા પ્રાપ્ત કરશે. તારી દ્રષ્ટિ હવે ભય નહીં, પવિત્ર કર્મસ્નાન બનાવશે.” આ સમયે શિવજીએ શનિદેવને “ન્યાયના દેવતા” તરીકે સ્થાપિત કર્યા.
આ પ્રસંગથી આપણે એ શીખીએ છીએ કે શનિદેવ આપણા દુઃખદાયક સમય માટે જવાબદાર નથી, પણ એ સમય આપણા પુર્વકર્મોનું પ્રતિફળ છે. માટ શનિ ને પનોતી સાથે સાંકડવું એ આપણું અજ્ઞાન છે અને આપણાં કર્મોનું જ પનોતી માટે જવાબદાર છે ના કે શનિદેવ.
રામાયણમાં શનિદેવનો ઉલ્લેખ

રામાયણમાં શનિદેવનો ઉલ્લેખ જોવે મળે છે. રાવણ પોતાને આખા ગ્રહમંડળનો રાજા માનતો હતો. તેને નક્કી કર્યું કે બધા નવગ્રહો તેના કબ્જામાં હોવા જોઈએ જેથી તેના પુત્રને તે મૃત્યુ માંથી મુક્તિ આપવી શકે. તેણે બધા ગ્રહોને બાંધીને પોતાની રાજસિહાસનના નીચે ગોઠવી દીધા.
શનિદેવે આ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો. રાવણે શનિદેવને એક અંધારી જગ્યા એ પૂરી દીધા. પણ શનિદેવે ત્યાંથી પણ પોતાની દ્રષ્ટિ દ્વારા રાવણના પુત્ર મેઘનાદના જન્મ સમયે મંડળ બદલી દીધું. પરિણામે મેઘનાદ અમર ન રહી શક્યો અને રામ રાવણ યૂદ્ધમાં મૃત્યુ પામ્યો.
જેમ રાવણે શનિદેવને અવગણ્યા, તેનું વંશ નાશ પામ્યું તેમ શનિદેવને અવગણવાથી દુઃખના દરવાજા ખુલે છે. પણ તેમને માન, ભક્તિ અને ન્યાય સાથે પૃથ્વી પર પૂજવા વાળાને તેઓ રક્ષક બને છે. શનિદેવ અંધકાર નહિ, પ્રકાશ તરફ દોરી જનાર છે – જો આપણે સત્યના માર્ગે ચાલીએ તો.
રામાયણમાં જ્યારે હનુમાનજી લંકા દહન કરવા ગયા, ત્યારે તેમને શનિદેવના અવાજ સાંભળાયો. તેઓ શનિદેવને શોધીને બંધનમાંથી મુક્ત કર્યા. શનિદેવ હનુમાનજીની દયાળુતા, બળ, અને નિઃસ્વાર્થ સેવા જોઈને ખૂબ જ પ્રસન્ન થયા. તેઓ હનુમાનજીને આશીર્વાદ આપ્યા:”હે બજરંગબલી! જેમના જીવનમાં તારી ભક્તિ હોય, જેમના પર તારી કૃપા હોય – મારા દોષ તેમનાં પર નહિ આવે. તારા ભક્તો ઉપર મારા સાડે સાતી કે અઢૈયા ક્યારેય દુઃખદાયક સાબિત નહિ થાય. એથી જ શનિની ગ્રહ દશા દરમિયાન હનુમાનની ભક્તિ કષ્ટોનો નાશ કરે છે.”
પૂજા વિધિ
શનિ જયંતીના દિવસે ભક્તો વહેલી સવારે ઉઠીને નાહીને પવિત્ર થાય છે. શનિદેવની મૂર્તિ અથવા ચિત્રને કાળા કપડાંમાં સ્થાપિત કરી, દીવો કરીને શનિદેવને કાળા તિલ, લોખંડ, કાળા ફળ ચઢાવે છે. તે દિવસે લોકો શનિ મંત્ર, શનિ સ્તોત્ર, શનિ ચાલીસા તથા ॐ शं शनैश्चराय नमः જેવા પાઠ કરે છે. કાગડાને અન્ન દાન કરે છે તથા પીપળાના વૃક્ષની 7 વાર પરિક્રમા કરે છે. આ દિવસે લોકો શનિદેવ પાસે ક્ષમા યાચના કરે છે.
શનિદેવના જીવનમાંથી મળતાં મુખ્ય પાઠો
1. કર્મપરાયણ બની રહો – શનિદેવ જીવનમાં નિયમિત શ્રમ અને ધર્મના માર્ગે ચાલવાનો સંદેશ આપે છે.
2. અહંકારથી બચો – તેઓ અહંકારીને ભાંગી દે છે અને નમ્રતાની પરિક્ષા લે છે.
3. ધૈર્ય રાખો – જીવનમાં જ્યાં શનિની સાડાસતી આવે, ત્યાંથી મનુષ્ય કસોટીમાંથી પસાર થઈને ઊંડો બને છે.
4. ન્યાયના પંથે ચાલો – શનિદેવનું શાસન યોગ્ય અને ન્યાયમૂળક છે.
5. જ્ઞાન અને અનુભવથી શિખો – જેમ શનિદેવ એક ગુરુ તરીકે કાર્યો કરે છે, તેમ જીવનના દુઃખ પણ આપણને શિખવે છે.
શનિ જયંતી એ માત્ર ભયનો નહીં પણ ભક્તિ અને આત્મમંથનનો દિવસ છે. શનિદેવના આશીર્વાદથી જીવનમાં ધૈર્ય, સહનશક્તિ અને ધર્મની સ્થિરતા આવે છે. આ દિવસે આપણે એ સંકલ્પ કરીએ કે આપણે પોતાના કર્મો માટે જવાબદાર રહીને, ન્યાય અને સત્ય ના પથ પર ચાલીને શનિદેવના આશીર્વાદને પ્રાપ્ત કરીશું. શનિદેવનું શાશ્વત સંદેશ છે કે માનવ પોતાનાં કર્મોનો જ જવાબદાર છે. સારા કર્મો કરતાં રહે અને ન્યાયના માર્ગે ચાલે , તો તે આપણાં રક્ષક છે. આમ અંતમાં શનિદેવને નતમસ્તક થઈ ને પ્રણામ
नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम्।
छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्॥
અર્થાત “હું શનિદેવને વારંવાર નમન કરું છું, જેમનું શરીર વાદળી રંગનું છે, જે સૂર્ય અને છાયાના પુત્ર છે, અને યમના મોટા ભાઈ છે.”
Here is the superhit devotional songs by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band) for this auspicious occasion.



