કર્ક સંક્રાંતિ | પૌરાણિક કથા | દક્ષિણાયનનું આરંભ | Kark Sankranti Story, Rituals
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
કર્ક સંક્રાંતિ એ હિંદુ કેલેન્ડર અનુસાર એવો વિશિષ્ટ દિવસ છે, જ્યારે સૂર્ય દેવ કર્ક રાશિમાં પ્રવેશ કરે છે. આ સંક્રમણને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે દક્ષિણાયનના આરંભની સૂચના આપે છે. દક્ષિણાયન એટલે કે જયારે સૂર્યની ગતિ દક્ષિણ દિશામાં થઈ જાય છે, જેને હિંદુ ધર્મમાં દેવતાઓની રાત્રિ કહેવાય છે. આમ તો વર્ષમાં કુલ ૧૨ સંક્રાંતિ આવે છે, પણ કર્ક સંક્રાંતિને એક એવા સંક્રમણ તરીકે માનવામાં આવે છે જે આધ્યાત્મિક રીતે ખૂબ શક્તિશાળી અને શાંતિદાયક હોય છે.
વૈજ્ઞાનિક રીતે જો જોઈએ તો, પૃથ્વી પોતાની અક્ષ પર નમીને સૂર્યની પરિક્રમા કરતી હોવાથી વર્ષના અર્ધ ભાગે ઉત્તરાયન અને બીજા અર્ધ ભાગે દક્ષિણાયન બને છે. કર્ક સંક્રાંતિ એ દક્ષિણાયનનો પ્રારંભ છે – એટલે કે તે સમય જયારે પૃથ્વી પર દિવસો નાનાં અને રાત્રીઓ લાંબી થવા લાગે છે.

હિંદુ શાસ્ત્રોમાં આ સમયને આત્મમંથન, ધ્યાન અને તપસ્યા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે, કારણ કે આ સમયગાળાને ‘દેવશયન’ એટલે કે દેવતાઓની શયન અવસ્થાના રૂપમાં ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુ પણ આ સમયે યોગનિદ્રામાં પ્રવેશ કરે છે.
જાણો કર્ક સંક્રાંતિની પૌરાણિક કથા!
પૌરાણિક કથા અનુસાર, એક વખત પૃથ્વી પર અધર્મ, પાપ અને અંધકાર ખૂબ વધી ગયો. લોકો ધર્મના માર્ગથી ભટકી ગયા અને સત્કર્મોનો ત્યાગ કરીને પાપમય જીવન જીવવા લાગ્યા. આવા સંજોગોમાં દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે તેઓ પૃથ્વી પર ધર્મ અને શાંતિની સ્થાપના કરે.

ભગવાન વિષ્ણુએ જણાવ્યું કે દક્ષિણાયનનો સમય એ પોતાનું યોગનિદ્રાનું સમય છે, અને આ દરમ્યાન જો ભક્તો શ્રદ્ધા અને ભક્તિથી દાન, જપ, તપ અને પૂજા કરે તો તેઓને વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે અને તેમના પાપોનું ક્ષય થાય છે. દક્ષિણાયનના આરંભ સાથે કર્ક સંક્રાંતિનો દિવસ એવો વિશેષ દિવસ છે જેમાં કરેલા સ્નાન, દાન અને જપ-તપના કાર્યો અનેકગણું ફળ આપે છે.
અન્ય એક દંતકથાના અનુસાર, કર્ક સંક્રાંતિ એ એવો દિવસ છે જ્યારે દેવતાઓ પિતૃલોક તરફ પ્રયાણ કરે છે અને પિતૃઓ પૃથ્વી તરફ આવે છે. તેથી આ દિવસ પિતૃ તર્પણ માટે પણ ખૂબ શુભ ગણાય છે. જળ તર્પણ, પિતૃ યજ્ઞ, પિતૃ શ્રાદ્ધ અને દાન-પૂણ્ય કરીને પિતૃઓને સંતોષ પામાડવામાં આવે છે. માન્યતા છે કે કર્ક સંક્રાંતિના દિવસે પિતૃઓની ભક્તિ કરી શાંતિ માટેની સાધનાઓ જલ્દીથી સાકાર થતી હોય છે.
કેટલાક વિસ્તારોમાં એવું પણ માનવામાં આવે છે કે કર્ક સંક્રાંતિના દિવસે યમરાજ પૃથ્વી પરના કર્મોની ચકાસણી કરે છે. મનુષ્યના પાપ અને પુણ્યના પરિપ્રેક્ષ્યમાં આત્માનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તેથી આ દિવસે શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવેલી તમામ ધાર્મિક ક્રિયાઓ ખાસ મહત્વ ધરાવે છે. આ તિથિ એટલી શુભ માનવામાં આવે છે કે હિમાલય પર્વતમાં વસતા ઋષિ-મુનિઓ પણ તપસ્યાનું આરંભ આ તિથિ થી કરતાં. કારણ કે આ સમય સૂર્યશક્તિ અને આધ્યાત્મિક ઉર્જાનું સંતુલન આપે છે.
કર્ક સંક્રાંતિના દિવસે શું કરવું?

ધાર્મિક વિધિઓની દૃષ્ટિએ, કર્ક સંક્રાંતિના દિવસે વહેલી સવારે પવિત્ર નદીમાં સ્નાન કરવું, તલ, ગોળ, કપડાં અને અનાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગાયત્રી મંત્રનો જપ, ભગવાન વિષ્ણુ અથવા સૂર્યનારાયણની આરાધના, તેમજ પિતૃઓ માટે તર્પણ કરવાથી પાપોનું ક્ષય થાય છે અને જીવનમાં સુખ-શાંતિ મળે છે. ખાસ કરીને ગરીબોને ભોજન કરાવવું અને ધર્મકર્મમાં ભાગ લેનાર લોકોને સહાય કરવી એ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આથી, કર્ક સંક્રાંતિ માત્ર ખગોળશાસ્ત્રીય તિથિ નથી, પરંતુ તે પૌરાણિક, ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવતી તિથિ છે. આ દિવસ ધર્મ, દાન અને તપસ્યાના માધ્યમથી આત્મશુદ્ધિ તરફ લઇ જાય છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી કર્ક સંક્રાંતિ પર કરવામાં આવેલા કાર્યો પાપમુક્તિ અને મોક્ષના દ્વાર ખોલી શકે છે. આ પવિત્ર અવસરે, ભક્તો પોતાની આત્મા સાથે સંવાદ સાધે છે અને નવા જીવનમાર્ગની શરૂઆત કરે છે – ધર્મના પંથ પર આગળ વધવા માટે સંકલ્પ લે છે.
