કચ્છના કૃપ ગુરુકુલ ખાતે યોજાઇ ‘ભગવદ્ ગીતા ઓપન બુક પરીક્ષા’ | Bhagavad Gita Open Book Exam at Krup Gurukul | Best of Gita Jayanti Parv 2024
હાલમાં ચાલી રહેલા ગીતા જયંતી પર્વ અંતર્ગત ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક એ કચ્છના કૃપ ગુરુકુલ ખાતે ‘ભગવદ્ ગીતા ઓપન બુક પરીક્ષા’ નું આયોજન કર્યું હતું. જેમાં બાળકો, યુવાઓ અને વડીલો ઉત્સાહભેર જોડાયા હતા. આ અવસરે ગુરુકુલમાં ભગવદ્ ગીતા શીખવી રહેલા ગુરુજનો ડૉ. કૃપેશ ઠક્કર અને ડૉ. પૂજા ઠક્કરએ સૌ પરીક્ષાર્થીઓને ગીતા જયંતી પર્વ અને આ અભિયાનથી માહિતગાર કર્યા હતા. તેમજ ‘મૈં ભી અર્જુન’ ના ભાવ સાથે આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું.



ગીતા જયંતી પર્વમાં દર રવિવારે ભગવદ્ ગીતા ઓપન બુક પરીક્ષાનું આયોજન!
એક તરફ બાળકોએ બાળ લેખિકા વાચા ઠક્કરના ‘સનાતન વર્ડ સર્ચ’ પુસ્તક આધારિત ‘સનાતન સંસ્કાર સિંચન’ પરીક્ષા આપી. તો બીજી તરફ અન્ય લોકોએ શ્રીમદ્ ભગવદ્ ગીતા તેમજ ‘અર્જુન ઉવાચ: ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ પર આધારિત ઓપન બુક પરીક્ષા આપી. પુસ્તક માંથી જોઈને પ્રશ્નોના ઉત્તર લખવાનો અનેરો અનુભવ મેળવી પરીક્ષાર્થીઓ રોમાંચિત થયા હતા. આ પ્રસંગે ડૉ. કૃપેશ એ કહ્યું કે ‘સંસ્થા છેલ્લા બે વર્ષથી વિવિધ શહેરોમાં આવી પરીક્ષાઓનું આયોજન કરતી આવી છે. જેમાં કચ્છના હજારો લોકોએ ભાગ લીધો છે. લોકોના બહોળા પ્રતિસાદને ધ્યાનમાં લઈને આ વર્ષે ગીતા જયંતી પર્વના દર રવિવારે ભગવદ્ ગીતા ઓપન બુક પરીક્ષાનું આયોજન કરેલું છે. જેથી વધુને વધુ લોકો આ લાભ લઈ શકે.”
વિજેતા વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએ મળશે સન્માન અને કૃપ ગુરુકુલમાં શિષ્યવૃતિ
તો બાળકો માટેની પરીક્ષા વિષે જણાવતા ડૉ. પૂજા એ કહ્યું કે ‘આપણા સનાતન સંસ્કારો, વેદો અને પુરાણોની માહિતી તેમજ પૌરાણિક પાત્રો અને ભગવાન વિષે ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકે એ ઉદેશ્યથી બાળકો માટે અલગ પરીક્ષા લેવાય છે. જેથી પરિવાર સહિત નાના-મોટા દરેક સદસ્યો આ અવસરનો લાભ લઈ શકે.” પરીક્ષાને અંતે સૌ બાળકોને ગુરુકુલએ ‘સનાતન વર્ડ સર્ચ’ પુસ્તક ભેટ આપી. વધુમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કરએ વિજેતા વિદ્યાર્થીઓને આગામી રાજ્ય કક્ષાના ‘ગીતા જયંતી પર્વ’ કાર્યક્રમમાં સન્માન કરવાની અને કૃપ ગુરુકુલના સર્ટિફિકેટ કોર્સ માટે શિષ્યવૃતિ આપવાની જાહેરાત કરી હતી.
ગીતા જયંતી પર્વના મુખ્ય કાર્યક્રમમાં બહુમાન!
અત્રે ઉલ્લેખનીય છે કે આ પરીક્ષામાં મોટા પાયે જોડાયેલી સંસ્થાઓ, શાળાઓ અને કોલેજોનું પણ ગીતા જયંતી પર્વના મુખ્ય કાર્યક્રમમાં બહુમાન કરવામાં આવશે. ૧ ડિસેમ્બર રવિવારે અને ૮ ડિસેમ્બર રવિવારે પણ ભગવદ્ ગીતા ઓપન બુક પરીક્ષા અંજારમાં કૃપ ગુરુકુલ ખાતે યોજાશે. જેમાં સાત વર્ષથી ઉપરના તમામ લોકો ભાગ લઈ શકશે.
