અઘોરી સાધુ એટલે કોણ, અઘોર પંથના રહસ્યો | મહાકુંભ 2025 વિશેષ | Hidden Secrets Revealed of Aghori Sadhu | Maha Kumbh Top Stories 5
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
અઘોરી સાધુ, મહાકુંભ 2025 વિશેષ: મનુષ્યો માટે દુર્લભ એવો દેવતાઓનો પર્વ છે ‘મહાકુંભ’. આ આધ્યાત્મિક ઉત્સવનો લાભ હાલમાં અસંખ્ય લોકો પ્રયાગરાજ ખાતે સંગમમાં ડૂબકી લગાવીને પ્રત્યક્ષ રીતે લઈ રહ્યા છે. તો અન્ય લોકો જ્ઞાન ગંગામાં ઊંડા ઊતરીને લઈ રહ્યા છે. જ્ઞાન સાગરમાં સ્નાન કરવું પણ કુંભમાં સંગમ સ્નાન કરવા જેટલું જ મહત્વનું છે.

અર્જુન, ફક્ત પાણીથી અંતર આત્માની શુદ્ધિ થતી નથી!
મહાભારતના યુદ્ધ બાદ જ્યારે અર્જુનને પોતાના જ સ્વજનો અને અસંખ્ય લોકોના મૃત્યુના પાપ માંથી મુક્ત થવું હતું; ત્યારે તેણે તીર્થ સ્નાન કરવાનું વિચાર્યું. એ વખતે ભગવાન કૃષ્ણ એ કહ્યું કે “આત્માનદી સૈયંપુણ્યતીર્થં સત્યોદકા શીલતટાદર્યોમી, તત્રાભિષેકં કુરુ પાંડુપુત્ર ન વારિણા જલંચંતરાત્મા.” અર્થાત્ આત્મા નદી હોય, સંયમ તીર્થ હોય, સત્યનું પાણી હોય, શીલ એ જ તટ હોય એ સ્થાન પર સ્નાન કર અર્જુન, ફક્ત પાણીથી અંતર આત્માની શુદ્ધિ થતી નથી! કંઈક એવું જ સ્નાન હોય છે નાગા સાધુ અને અઘોરી સાધુઓનું! જેને આપણે સામાન્ય મનુષ્ય તરીકે જોઈ શકતા નથી. પરંતુ ‘પર્વની પાઠશાળા – મહા કુંભ પ્રકરણ’ માં જ્યારે આપણે આ સાધુઓ વિશે ગૂઢ રીતે સમજ કેળવી રહ્યા છીએ ત્યારે આજે આપણે અઘોરી બાવા વિશે ઊંડાણમાં અભ્યાસ કરીશું.
અઘોરમતના અનુયાયી લોકો અઘોરી કહેવાય | Significance of Aghori Sadhu
‘ઘોર’ એટલે ગંભીર કે ભયંકર; અને ‘અ + ઘોર’ એટલે જે ગંભીર કે ભયંકર નથી; પણ સરળ અને કલ્યાણકારી છે. શ્વેતાશ્વેતરોપનિષદમાં ભગવન મહાદેવ ને ‘અઘોરા’ અને ‘મંગલમય’ કહ્યા છે. અઘોર પંથના ભગવાન છે અઘોરનાથ મહાદેવ અને અઘોર પંથના મુખ્ય ગુરુઓમાં એક છે ભગવાન દત્તાત્રેય. જેમના વિશે આપણે અગાઉ અંકમાં થોડી ચર્ચા કરેલી છે. અઘોરમતના અનુયાયી લોકો અઘોરી કહેવાય છે. કુંભ મેળામાં નાગા સાધુઓ સાથે અમૃત સ્નાનનો પ્રથમ અધિકાર ધરાવનાર અઘોરી લોકો સંસાર અને સમાજથી હંમેશા દૂર રહે છે. જો કે સમાજમાં અમુક દંભી અને પ્રપંચી લોકોને કારણે ‘અઘોરી’ ને લઈને ઘણા ખોટા મતો અને પૂર્વગ્રહો પણ બંધાયેલા છે.

દરેક મનુષ્ય જન્મ હોય છે જન્મથી ‘અઘોર’ | મહાકુંભ 2025
પરંતુ આપણે ફક્ત પાયાના સિદ્ધાંતોની વાત કરીએ તો દરેક મનુષ્ય જન્મ લેતા ‘અઘોર’ એટલે કે ‘સરળ’ જ હોય છે. પરંતુ જેમ જેમ બાળક મોટો થાય તેમ તેમ તે માયા, ભૌતિકતા અને સંસારિક્તાના સંપર્કમાં આવીને જટિલ થઈ જાય છે. એટલે સાધના દ્વારા આ બધા તત્વોથી દૂર થઈ, ફરી પોતાના મૂળ રૂપ ‘સરળ’ રૂપ થકી મુક્તિ સુધી પહોંચવું એ છે ‘અઘોરમત’.
આ પંથમાં જીવન અને મૃત્યુના ચક્રનો અભ્યાસ કરીને વૈરાગ્ય થકી મોક્ષ પામવાનો માર્ગ છે. જેને પ્રતીકાત્મક રૂપથી સમજવા માટે અઘોરી સાધુઓ વિવિધ પ્રકારની સાધનાઓ કરે છે. અઘોરી લોકો સ્મશાન કે નિર્જન સ્થળોમાં રહે છે; જે તેમને જન્મ-મરણના સત્ય સાથે જોડી રાખે છે. શરીર પર લાગેલી ચિતાની ભસ્મ તેમને સતત પંચમહાભૂત તત્વો એટલેકે ભૂમિ, અગ્નિ, જળ, વાયુ અને અવકાશનું ભાન કરાવે છે. તો કપાલ, શવસાધના કે અભક્ષ્ય ભોજન તેમને સંસારના દરેક તત્વ પ્રત્યે સમદ્રષ્ટિ કેળવવાની તાલીમ આપે છે.

અઘોરી સાધુઓની દીક્ષા: હરિત, શીરીત અને રંભત |
નાગા સાધુઓની જેમ અઘોરી સાધુ બનવાની યાત્રા પણ ખૂબજ લાંબી અને કઠિન હોય છે. પ્રચલિત માન્યતા અનુસાર અઘોરી બનવા માટે સાધુ ભગવાન શિવ અને દેવી મહાકાળીની ભક્તિ કરે છે. ત્યારબાદ પોતાના ગુરુ પાસેથી હરિત દીક્ષા, શીરીત દીક્ષા અને રંભત દીક્ષા એમ ત્રણ પ્રકારની દીક્ષા ગ્રહણ કરે છે. જેમાં સૌ પ્રથમ હરિત દીક્ષા અંતર્ગત સિદ્ધિ પ્રાપ્ત કરેલ ગુરુ પાસે સાધુ શિષ્ય બને છે. ગુરુ તેના કાનમાં ગુરુ મંત્ર આપી સાધના કરવા કહે છે.

ત્યારબાદ શીરીત દીક્ષામાં તે ગુરુ પાસેથી કાળો દોરો ગ્રહણ કરી હાથ, ગળા અથવા કમર પર ધારણ કરીને ગુરુમંત્ર લે છે. સાથે જ ગુરુને વચન આપી તેમના આપેલા બધા નિયમો અનુસરે છે. સૌથી કઠિન દીક્ષા હોય છે ‘રંભત’; જેમાં સાધુ પોતાના જીવન-મરણ ના બધા જ અધિકાર ગુરુને આપી કઠિન સાધનાઓ કરે છે. કહેવાય છે કે રંભત દીક્ષા સિદ્ધ થયા બાદ એ સાધુ પૂર્ણ રૂપે અઘોરી બને છે. તેમજ અસામાન્ય સિદ્ધિઓ મેળવે છે.
મૃત વ્યક્તિને જીવિત કરતાં અઘોરી!
અઘોર પંથના મુખ્ય પ્રવર્તકોમાં ગુરુ ગોરખનાથ, બાબા કીનારામ, શ્રી જયનારાયણ રામજી મહારાજ અને બાબા ગુલાબચંદ્ર આનંદજી મહારાજનું યોગદાન જોવા મળે છે. તેમના વિશેનું ઇતિહાસ, તેમના ઘણા આધ્યાત્મિક પુસ્તકો અને તેમના જીવનકાળ દરમિયાન થયેલી ચમત્કારિક ઘટનાઓ અને અસામાન્ય સિદ્ધિઓનું ઉલ્લેખ વિવિધ સ્ત્રોતોમાં જોવા મળે છે. જેમાં મૃત વ્યક્તિને જીવિત કરવા, વસ્તુઓને હવામાં ઉડાવવી કે અદૃશ્ય કરવી તેમજ પ્રાકૃતિક તત્વોને કાબુમાં કરવા જેવી ઘટનાઓનો પણ સમાવેશ થાય છે.

ભારતમાં અઘોર પંથના પ્રમુખ સ્થાનો
ભારતમાં અઘોર પંથના પ્રમુખ સ્થાનો સ્વયં ભગવાન શિવની નગરી એટલે કે કાશી અને વારાણસી તેમજ ચંપારણ અને ગુજરાતમાં જુનાગઢ તેમજ ગિરનારનો સમાવેશ થાય છે. હજુ તો આપણે ફક્ત આ સંપ્રદાય વિશે પાયાની માહિતી મેળવી છે. જે નાગા સાધુઓની જેમ તેમની મહિમા અને મહત્વનો પ્રાથમિક પરિચય આપે છે. પરંતુ મહા કુંભનું મહાત્મ્ય સંગમના જળ જેટલું જ ગહન છે. જેટલા ઊંડા ઉતરીએ એટલું બહોળું જ્ઞાન આપે છે. માટે પર્વની પાઠશાળા મહાકુંભ પ્રકરણના આગામી અંકમાં આપણે અન્ય રોચક ચર્ચાઓ કરીશું.

The article is written by the best-seller author Dr. Krupesh Thacker.
