જગન્નાથ મંદિરનો ઈતિહાસ | ભગવાન જગન્નાથની પૌરાણિક કથા | પર્વની પાઠશાળા | Jagannath Temple History, Significance, Story
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
અષાઢ મહિનાની શુક્લ પક્ષની બીજ એટલે અષાઢી બીજ. અને આ અષાઢી બીજ ફક્ત એક તારીખ ન રહેતા ભારતીયો માટે મોટું પર્વ બને છે. કારણે કે આ દિવસે સ્વયં જગતના નાથ એટલે કે જગન્નાથ તેમના ભક્તોને મળવા મંદિરની બહાર આવે છે. માટે આ દિવસને સમગ્ર ભારત વર્ષ ‘રથ તહેવાર’ અને ‘રથયાત્રા’ રૂપે મનાવે છે, તો કચ્છમાં આ દિવસ કચ્છી નવા વર્ષ તરીકે ઉજવાય છે.
આ ઉત્સવ ફક્ત એક પર્વ નથી. પરંતુ ભાવ છે એક ભક્ત અને ભગવાનનો! કહેવાય છે ને, કે ભક્ત એક ડગલું ચાલે તો ભગવાન દસ ડગલા ચાલીને ભક્ત પાસે આવે છે. ભક્તિના એ જ ભાવનું પ્રતિક છે ‘રથયાત્રા’! પર્વની પાઠશાળા અર્થાત તહેવારોની પાઠશાળામાં, ચાલો જાણીએ આ રથયાત્રા વિશેના જાણ્યા અજાણ્યા કિસ્સા અને ભગવાન જગન્નાથના વિશિષ્ટ સ્વરૂપની કહાની!
જગન્નાથ રથયાત્રાનું ધાર્મિક મહત્વ

ઓડીસાના જગન્નાથ પુરીની રથયાત્રા એ ભારતની મુખ્ય રથયાત્રા ગણાય છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને આખું વર્ષ પૂજયા બાદ અષાઢી બીજને દિવસે તેમને મંદિરથી બાહર લાવી ભગવાન જગન્નાથને નંદીઘોષ, બલરામને તાલધ્વજ અને દેવી સુભદ્રાને પદ્માધ્વજ નામના ભવ્ય રથોમાં બિરાજમાન કરાય છે. આ રથ ખૂબ જ મોટા પૈડાવાળા અને સંપૂર્ણ કાષ્ઠના બનેલા હોય છે. જેને ભવ્ય શણગાર દેવાય છે. તેમજ દર વર્ષે નવા રથ બનાવાય છે.
‘બડા ડંડા’ તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાંથી થઈને ગુંડીયા મંદિરે લઈ જવાય છે. જે દરમિયાન જાહેર જનતાને તેમના દુર્લભ દર્શનનો લાભ મળે છે તથા મોટા દોરડાઓ વડે બાંધેલા એ રથને દોરી જવાનો મહાપુણ્ય નસીબ થાય છે. ગુંડીયા મંદિરે નવ દિવસ સુધી રહ્યા બાદ ત્રણે મૂર્તિને ફરી ભવ્ય રથોમાં બેસાડીને શ્રી મંદિરે પરત લાવવામાં આવે છે જેને ‘બહુડા યાત્રા’ કહેવાય છે. પરત આવતા ત્રણે મૂર્તિઓ મૌસીમા મંદિરે વિરામ લે છે, જ્યાં શ્રદ્ધાળુઓને ‘પોડા પીઠા’ નો પ્રસાદ મળે છે અને પછી યાત્રા આગળ વધે છે.
આ જ રીતે દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને દેવી સુભદ્રાની જનકપૂરથી જગન્નાથ પૂરી સુધીની ભવ્ય રથયાત્રા ભક્તો દ્વારા ખેડવામાં આવે છે. જેમાં દેશ વિદેશથી લાખો હિન્દુ ભક્તો જોડાય છે. રથયાત્રા સૌ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. એ સિવાય પણ વિવિધ રાજ્યોના અનેક શહેરોમાં રથયાત્રાનું આયોજન થાય છે. જો આપણા ગુજરાતની વાત કરીએ, તો અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરથી નીકળતી યાત્રા એ ગુજરાતની સૌથી મોટી રથયાત્રા હોય છે. જેની ભવ્ય ઉજવણીમાં હજારો લોકો લાભ લે છે. સુંદર શણગાર, મનોહર મુખ, એકદમ મોટી આંખો અને નાના હાથ, રથયાત્રાની મહિમા જેટલી વિશિષ્ટ છે એટલી જ વિશિષ્ટ છે ભગવાન જગન્નાથ, બલરામ અને દેવી સુભદ્રા ના આ સ્વરૂપની કથા.
ભગવાન જગન્નાથની કથા
આ એ સમયની વાત છે જ્યારે ભગવાન કૃષ્ણની બધી જ રાણીઓ બલરામના માતા રોહિણીને મળવા જાય છે અને ફરિયાદ કરે છે, કે કૃષ્ણના મુખ પર સદાય રાધાનું નામ જ કેમ રહે છે? ત્યારે માતા રોહિણી એ કહ્યું કે જો “કૃષ્ણ અને બલરામ ના હોય તો જ હું એ કથા કહું.” એટલે સૌએ કૃષ્ણની નાની બહેન સુભદ્રાને કક્ષને દ્વારે ચોકી કરવા કહ્યું જેથી કથા દરમિયાન એ બંને કક્ષમાં પ્રવેશે નહીં. સુભદ્રા એ દ્વાર બંધ તો કર્યા પરંતુ પોતાની જાતને એ રહસ્ય જાણવાની જિજ્ઞાસાથી વંચિત રાખી શકી નહીં.

માટે તે દ્વારે કાન રાખીને તેમની વાતો સાંભળવા લાગી. કૃષ્ણ અને રાધાના એ પરમ પ્રેમ અને ભક્તિની પરકાષ્ઠાની એ કથા સાંભળી સુભદ્રા પોતાનું ભાન ભૂલી ગઈ. અહીં ભગવાન કૃષ્ણ અને બલરામ આવ્યા ત્યારે સુભદ્રા ને આ રીતે દ્વારે કાન રાખીને સાંભળતા જોઈ જિજ્ઞાસા વશ પોતે પણ એ જ રીતે કાન રાખીને અંદરનો સંવાદ સાંભળવા લાગ્યા. પરિણામવશ કૃષ્ણ અને બલરામ પોતે પણ ભક્ત અને ભગવાનનો એ મહિમા જાણી ભાન ભૂલ્યા.
કથાથી વિસ્મય પામી તેઓ ત્રણેની આંખો એકદમ મોટી થઈ ગઈ અને હાથ-પગ સંકોચાવા લાગ્યા. વિહાર કરતાં કરતાં દેવર્ષી નારદ એમને ત્યાં આવી પહોંચ્યા અને એ અદ્ભુત દૃશ્ય, અદ્ભુત રૂપ અને એ અદ્ભુત લીલા જોઈ કૃતકૃત્ય થયા. તેમણે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી “હે પ્રભુ, જે અલૌકિક રૂપના દર્શન મને થયા છે, એ રૂપના દર્શન સર્વને થાય!” ભગવાને તેમને ત્રેતાયુગમાં સંસારને એ રૂપના દર્શન આપવાનું વચન આપ્યું. સદભાગ્ય કહો કે સૌભાગ્ય! આજે આપણે સૌ રથયાત્રા દ્વારા એ દુર્લભ અલૌકિક રૂપના દર્શન પામી શકીએ છીએ એ જ આપણા મનુષ્ય અવતાર માટે સામીપ્ય મુક્તિ છે.
વધુ વાંચો: કચ્છના પૌરાણીક તીર્થ ‘ધ્રબુડી’ ની શબ્દયાત્રા | ધન્ય ધરા ગુજરાતની
ભગવાન કૃષ્ણના ભક્તિ ગીતો | Lord Krishna Devotional Songs, Bhajans
પર્વ ઠક્કર, વાચા ઠક્કર અને ડૉ. કૃપેશ ઠક્કર (પર્વ ફ્યુઝન બેન્ડ) દ્વારા ગાયેલ ભગવાન કૃષ્ણના ભજન અને ભક્તિ ગીતો.
