ચૈત્ર નવરાત્રી, ગુડી પડવા, ઉગાડી, ચેટી ચાંદ ક્યારે છે | મુહૂર્ત, મહત્વ, ધાર્મિક માન્યતા, કથા | Chaitra Navratri significance, importance | Best 10 Stories
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
ચૈત્ર નવરાત્રી પ્રારંભ | ઘટ સ્થાપના મુહૂર્ત
ચૈત્ર મહિનાની શુક્લ પ્રતિપદા એટલે ‘ચૈત્ર નવરાત્રી પ્રારંભ’. જે આ વર્ષે ૩૦ માર્ચથી શરૂ થઈ રહી છે. ભારતીય સંસ્કૃતિમાં ચૈત્ર નવરાત્રી સાથે જ નવા વર્ષના ઉત્સવોનું પણ પ્રારંભ થાય છે. પરંતુ વિવિધ સભ્યતા ધરાવતા ભારતમાં ‘ચૈત્ર સુદ એકમ’ નો પર્વ પણ વિવિધ રીતે ઉજવાતો જોવા મળે છે. મહારાષ્ટ્રમાં આ દિવસે ગુડી પડવો ઉજવાય છે, તો દક્ષિણ ભારતમાં ઉગાડી; વળી ચૈત્ર નવરાત્રી ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં જુદી જુદી રીતે મોટા પાયે ઉજવાય એ તો ખરું જ! તો વળી ગુજરાતમાં ચૈત્રી બીજનું ખૂબ મહત્વ છે અને એ મોટો ઉત્સવ છે.
ઐતિહાસિક રીતે વિક્રમાદિત્ય રાજાએ ચૈત્ર માસથી વિક્રમ સંવતની સ્થાપના કરી હતી, અને એને હિન્દુ પંચાગ મુજબનું નવું વર્ષ મનાવવામાં આવે છે. માટે આજે પર્વની પાઠશાળામાં આપણે ચૈત્ર માસના આ પર્વ વિશેની રોચક વાતો, કથા અને વિવિધતાની પણ ચર્ચા કરીશું.
આમ તો વર્ષમાં ચાર નવરાત્રી આવે છે, પરંતુ ચૈત્ર નવરાત્રી, જેને વસંત નવરાત્રી પણ કહેવાય; એ નવા વર્ષની પ્રથમ નવરાત્રી હોતા ખૂબ જ મહત્વ ધરાવે છે. કહેવાય છે કે આ પર્વમાં નવ દિવસ સુધી માતા દુર્ગાએ વિવિધ સ્વરૂપો ધારણ કરી અને મહિષાસુર સાથે યુદ્ધ કર્યું હતું. માટે આ નવ દિવસોમાં માતા દુર્ગાના એ સ્વરૂપોની પૂજા થાય છે. લોકો વ્રત અને ઉપવાસ રાખે છે. ઘટ સ્થાપન, ગરબા પૂજન, કુમારિકા પૂજન, હોમ હવન વગેરે જેવા નવરાત્રીના વિધિ-વિધાન અનુસરવામાં આવે છે. વિવિધ પ્રાંતોમાં માતાના મુખ્ય મંદિરોમાં લોક મેળા પણ ભરાય છે.
આ પર્વ દરમિયાન માતાની ભક્તિ અને આરાધના કરવાથી માતા મનોવાંછિત ફળ આપે છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે. જેમ માતા દુર્ગા એ અસુરનું વધ કર્યું, એમ માતા મનમાંથી નકારાત્મકતા દૂર કરીને હકારાત્મક શક્તિનો સંચાર કરે છે. વળી વૈજ્ઞાનિક રીતે જોઈએ તો વસંત ઋતુના આરંભ કાળ દરમિયાન ઋતુ સંધિને કારણે જે વાતાવરણમાં ફેરફાર સર્જાય છે, એમાં નવરાત્રીએ કરેલ વ્રત-ઉપવાસ શારીરિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે.
Enjoy the superhit devotional songs by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band) for this auspicious occasion.
ગુડી પડવા નું મહત્વ અને તેની દંતકથા | શા માટે ઉજવાય છે ગુડી પડવા? |ધાર્મિક માન્યતા
મહારાષ્ટ્રમાં ચૈત્ર સુદ એકમને ‘ગુડી પડવા’ એટલે મરાઠી નવા વર્ષના આરંભ તરીકે ઉજવાય છે. આ પર્વની કથા રામાયણ અને મહાભારત સાથે સંકળાયેલી હોતા, આ પર્વનું સ્વાગત કરવા માટે લોકો ઘરની બહાર ‘ગુડી’ એટલે કે લાકડી બાંધે છે. તેની ષોડશોપચાર પૂજા કરી તેલ લગાવી, લીમડાના પાન, ચુંદડી કે સાડી અને કળશ સાથે શણગારે છે. ગુડીને ભગવાન રામના સ્વાગતનું પ્રતિક માનવામાં આવે છે. આ ઉપરાંત ઘર આંગણે સુંદર રંગોળી કરીને પાંચ પાંડવોની પ્રતિમા બનાવે છે.બારણે આંબાના તોરણ બાંધે છે. પ્રસાદમાં કડવા લીમડાના પાંદડા સાથે ગોળ, મીઠું, જીરું અને લીંબુ વગેરે નાખી વાટી અને ખાય છે; જે અત્યંત આરોગ્યપ્રદ હોય છે.
વસંત ઋતુના આરંભ સાથે તે સ્વાસ્થ્ય વર્ધક નીવડે છે. બાળકો પણ શાળામાં સરસ્વતી પૂજામાં ભાગ લે છે. આ દિવસથી કરીને રામ નવમી સુધી લોકો ભગવાન રામના મંદિરે વિવિધ વસ્તુઓ ધરાવીને રામ ભજન અને સત્સંગ કરી આ પર્વ ઉજવે છે.
ઉગાડી ક્યારે છે?| શુભ મુહૂર્ત
જો દક્ષિણ ભારતની વાત કરીએ તો આંધ્ર પ્રદેશ, તેલંગાણા, અને કર્ણાટકમાં ચૈત્ર સુદ એકમને ‘ઉગાડી’ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. જેને ‘યુગ’ અને ‘આદિ’ શબ્દના સંયોગથી ‘યુગાદી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક માન્યતા અનુસાર આ દિવસથી બ્રહ્મા દ્વારા સૃષ્ટિનું સર્જન થયું હતું એટલે તેને યુગાદી કહેવામાં આવ્યું છે. તેમજ લોકવાયકા અનુસાર ભગવાન રામ એ આ જ દિવસે વાલીનું વધ કરી દક્ષિણના લોકોને મુક્ત કર્યા; માટે પણ દક્ષિણમાં લોકો ભગવાન રામને વધાવવા માટે આ પર્વ ઉજવે છે.
માન્યતા અનુસાર વસંત ઋતુ સાથે જ પ્રકૃતિ નવું ચક્ર શરૂ કરે છે, માટે દક્ષિણ ભારતમાં લોકો ઘર આંગણે ફૂલ અને પાંદડાની સુંદર રંગોળી કરે છે. બારણે તાજા આંબાના પાંદડાનું તોરણ બાંધે છે. લોકો નવા વસ્ત્ર પરિધાન સાથે મંદિરોમાં પૂજા કરે છે. પારંપરિક મિષ્ટાન્ન અને રસોઈ બનાવી ઉજવણી કરે છે.
ચેટી ચાંદ | ઝુલેલાલ સાંઈનો અવતાર
આવી જ રીતે સિંધી સમુદાયમાં પણ ચૈત્ર સુદ એકમને ‘ચેટી ચાંદ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે જ સિંધી લોકોના ઇષ્ટદેવ ઝૂલેલાલનો જન્મ થયો હતો. એ દિવસે સિંધી લોકો ‘ઝૂલેલાલ બહરાણો સાહબ’ સ્વરૂપે શાહી સરઘસ કાઢે છે. મંદિરમાં પૂજા અને પ્રસાદનું આયોજન હોય છે. લોકો ઘરે પારંપરિક ભોજન બનાવી અને ઉત્સવ ઉજવે છે.
આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષના એ દિવસો જેમાં વિના મુહૂર્ત પણ શુભ કાર્ય થઈ શકે એવા અતિશુભ દિવસોની યાદીમાં એક દિવસ છે ‘ચૈત્ર સુદ એકમ’. કોઈ પણ શુભ કે મંગળ કાર્ય આ દિવસે કરી શકે. લોકો નવા વ્યવસાયનો આરંભ, નવું ઘર, મૂલ્યવાન ખરીદી વગેરે જેવી બાબતો માટે આ દિવસ વિશેષ પસંદ કરે છે. આમ ‘ચૈત્ર સુદ એકમ’ એ એક માં અનેક શુભ પર્વનો સંગમ છે એમ કહી શકાય.