જન્માષ્ટમી શા માટે ઉજવાય છે? | જાણો કૃષ્ણ જન્માષ્ટમીનો ઈતિહાસ, મહત્વ અને વ્રતની વિધિ | કૃષ્ણ જન્મની કથા | Krishna Janmashtami importance, history, facts, vrat, puja vidhi
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમી! આ ‘જન્મ અષ્ટમી’ એટલે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમી તિથિ, કે જ્યારે કૃષ્ણનો જન્મ થયો. આ દિવસને ‘ગોકુળ આઠમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જગદગુરુ ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ ફક્ત ભારત દેશ કે ફક્ત હિંદુઓ પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા વિવિધ ધર્મ અને સંપ્રદાયના કૃષ્ણ પ્રેમી લોકો આ પર્વને ધામધૂમથી ઉજવે છે. પર્વની પાઠશાળામાં આપણે જાણીશું આ ભવ્ય તહેવાર વિશેની રોચક વાતો અને કૃષ્ણ જન્મની કથા સાથે જોડાયેલા ચમત્કાર અને સંદેશ!

કૃષ્ણ જન્માષ્ટમી કેવી રીતે ઉજવીએ?
આમ તો તહેવારની શૃંખલા ત્રણ દિવસની છે. જે રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ અને ગોકુળ આઠમ એમ ત્રણ દિવસ સળંગ ઉજવાય છે. રાંધણ છઠ્ઠના દિવસે સૌના ઘરે બીજા દિવસ માટે મનગમતા ભોજન, મિષ્ટાન અને પકવાન બને છે. સાંજે ચૂલો ઠંડો કરી ચૂલાની અને છઠ્ઠ માતાની પૂજા થાય છે. એવું માનવામાં આવે છે કે છઠ્ઠની રાત્રે શીતળા માતા વિહાર કરવા આવે અને જેને ઘર ચૂલો ઠંડો હોય તેમને આશીર્વાદ આપે. સાતમના બધા લોકો ઠંડુ ખાઈ વ્રત કરે અને શીતળા માતાની પૂજા કરી, કથા સાંભળે છે. જો કે નાના-મોટા સૌને પ્રતિક્ષા હોય છે મધ્ય રાત્રીની!
કૃષ્ણ ભક્તોનું ઘરનું મંદિર હોય કે જાહેર મંદિર, બધા ખૂબ હોંશથી મંદિર શણગારે છે. બાલ ગોપાલને અણમોલ પારણામાં પોઢાળી, માખણની મટકી અને મીશ્રી નો પ્રસાદ તૈયાર રાખે છે. ઘરોમાં સગા સંબંધી, અને જાહેર મંદિરમાં દર્શનાર્થીઓના ટોળે ટોળા કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા એકત્ર થાય છે. શહેરોની બજારો અને મંદિરના શિખરો રોશનીથી ઝગમગતા હોય છે. બરાબર બાર વાગ્યાના ટકોરે પારણા ઉપરથી આવરણ હટે અને ભગવાનની મૂર્તિ આગળથી પડદા ખસે; ત્યારે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી!’ ના નાદ સાથે સૌ કૃષ્ણને આવકારી આરતી ઉતારે છે.

એક તરફ બાળકો અને યુવાઓ મટકી ફોડી પ્રસાદ આપે તો બીજી તરફ લોકોમાં નંદ બનીને બાલ ગોપાલને તૈયાર કરી ટોકરીમાં બેસાડીને નાચવાનો ઉત્સાહ પણ જોવા મળે. તો વળી સ્ત્રી વર્ગમાં રાસ રમવાનો ઉત્સાહ પણ અનેરો હોય છે. સૌ દર્શનાર્થીઓ હરોળમાં ઊભા રહી પોતાની વારી આવવાની પ્રતિક્ષા કરે છે અને કૃષ્ણના પારણાને ઝુલાવવાનો સૌભાગ્ય મેળવે છે.
આ રીતે રાત્રિના કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યા પછી બીજા દિવસે પરોઢે સ્નાન કરીને લોકો મંગળા આરતીના દર્શન કરે છે. જન્માષ્ટમી એ વિષ્ણુ અને કૃષ્ણની પૂજા કરવી, ગાયોને ઘાસ ખવડાવવું, ગૌ પૂજા કરવી કે અન્નદાન કરવાનો પણ વિશેષ મહિમા હોય છે. આ ઉપરાંત સમગ્ર પરિવાર એકટાણો, ફળાહાર કે ઉપવાસ પણ રાખે છે. ગોકુળ આઠમ એ ઉચ્ચતમ મુહૂર્ત હોતા વિવાહ કરવાનો પણ શ્રેષ્ઠ સમય માની ગોકુળિયા લગ્ન કરવાનું ચલણ પણ જોવા મળે છે. આ તહેવારોમાં વિશેષ ઉમંગ ઉમેરતા લોક મેળાઓ પણ સૌના આકર્ષણનું કેન્દ્ર રહે છે.
કૃષ્ણ જન્મની કથા અને ચમત્કાર!
જન્માષ્ટમીનો પર્વ જેટલો રોચક છે એટલી જ રોચક છે કૃષ્ણ જન્મની કથા! જેના ચમત્કારની કલ્પના કરતા આજે પણ રોમાંચનો અનુભવ થાય છે. સમયના એ દોરમાં પાછા જઈએ તો એ સમય પણ એવો હતો કે જેમાં સૌને દેવકીનો આઠમો સંતાન કે જે દિવ્ય આકાશવાણી મુજબ કંસનો કાળ થવાનો હતો; તેના જન્મની પ્રતીક્ષા હતી. એના માટે તો કંસ પણ વિહવળ હતો. એટલે જ એણે પોતાની પ્રિય બહેન દેવકી અને વસુદેવને કારાવાસમાં રાખ્યા હતા. પ્રથમ સાત સંતાનો કંસને હાથે હણાયા બાદ સૌને આ આઠમા સંતાનની ચિંતા હતી. માટે પ્રથમ ચમત્કાર ત્યારે થયો જ્યારે માયાએ મથુરાના દરેક જીવને ઘોર નિદ્રામાં મૂકી દીધા.

કારાવાસના સૈનિકો સુદ્ધાં સૌ કોઈ નિદ્રાધીન થયા. ત્યારે માતા દેવકી એ સંતાનને જન્મ આપ્યો. અપાર તેજ, શ્યામ રંગ, કમળ જેવા નયન, હથેળી અને પગમાં દિવ્ય ચિન્હો સાથે ભગવાન અવતર્યા. વિષ્ણુએ સાક્ષાત દર્શન આપી વસુદેવને આદેશ આપ્યો. આદેશ મુજબ વસુદેવ એ બાળ કૃષ્ણને ટોકરીમાં પોઢાડી માથે લઈ પ્રસ્થાન કર્યું.
બીજો ચમત્કાર ત્યારે થયો જ્યારે કારાવાસ, મહેલ અને રાજ્યના દરેક દરવાજા આપોઆપ ખુલી ગયા. બધા જ સૈનિકો સૂતા હતા એટલે વસુદેવ નિશ્ચિંત થઈને ભગવાન સાથે રાજ્યની બહાર આવ્યા. તેમને ખળખળ વહેતી યમુના પાર કરીને સામે છેડે જવાનું હતું.
જેમ જેમ વસુદેવ આગળ વધ્યા તેમ તેમ યમુનાના નીર પણ કૃષ્ણના ચરણ પખાળવા ઉપર આવતા ગયા. વળી ભગવાનને વધાવવા મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. ત્યારે ત્રીજા ચમત્કારમાં નાગરાજ એ સ્વયં પોતાની ફેણનો છત્ર બનાવી ભગવાનની રક્ષા કરી. તો બીજી તરફ માતા યમુનાની મનોકામના પૂર્ણ કરવા બાળ કૃષ્ણ ટોકરીમાંથી પગ બહાર કાઢી જેવો જળને સ્પર્શ્યા કે કૃતજ્ઞ થઈને યમુના માતા એ ભગવાન માટે રસ્તો આપ્યો. આમ ચોથા ચમત્કારમાં પાણીની બે મોટી દીવાલ બની જે વચ્ચે માર્ગ મેળવી વસુદેવ ભગવાન સહિત સકુશળ સામે કિનારે પહોંચ્યા.


અહીં ગોકુળમાં પણ બધા યોગ નિદ્રામાં લીન હતા. નગરના દરવાજાઓ આપોઆપ ખૂલી ગયા. દ્વારપાળો પણ સૂતા હતા. આદેશ અનુસાર વસુદેવ નંદને ઘરે પહોંચ્યા અને ત્યાં માતા યશોદા પાસે કૃષ્ણને સુવડાવી, યશોદા માતાની નવજાત પુત્રીને લઈને પાછા આવ્યા. જે ક્ષણે તેમણે કારાવાસમાં પગ મૂક્યો એ જ ક્ષણે બધી માયા સંકેલાઈ અને લોકો જાગૃત થયા.
જો કે આ વાર્તા આપણે જીવન માટે પણ સુંદર સંદેશ આપે છે. જ્યારે ભગવાનની ભક્તિ આપણા મનમાં જન્મ પામે ત્યારે મથુરા વાસીઓની જેમ આપણા દોષ અને વિકારો પણ સુષુપ્ત થાય છે. યમુનાના વહેણ જેવો સમય પણ માર્ગ આપે છે અને મુશળધાર વરસાદ જેવા કર્મફળો સામે પણ રક્ષણ મળે છે. આમ જન્માષ્ટમી ફક્ત ભગવાન કૃષ્ણના જન્મનો ઉત્સવ નહીં પણ મનમાં ભક્તિના જન્મનો પણ પર્વ બને છે.
કૃષ્ણ જન્માષ્ટમી માટેના ભજન અને ભક્તિ ગીતો | Krishna Janmashtami Special Songs
Here is the special Bhakti songs by Dr. Krupesh, Dr. Pooja, Vacha and Parv (Parv Fusion Band) for this auspicious occasion.
FAQs for Janmashtami
જન્માષ્ટમી ક્યારે છે?
શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી એ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી 26 ઓગસ્ટ 2024, સોમવાર ના ઉજવવામાં આવશે.
જન્માષ્ટમીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
જન્માષ્ટમીને ‘ગોકુળ આઠમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જન્માષ્ટમી કી રીતે ઉજવાય છે?
કૃષ્ણ ભક્તોનું ઘરનું મંદિર હોય કે જાહેર મંદિર, બધા ખૂબ હોંશથી મંદિર શણગારે છે. બાલ ગોપાલને અણમોલ પારણામાં પોઢાળી, માખણની મટકી અને મીશ્રી નો પ્રસાદ તૈયાર રાખે છે. ઘરોમાં સગા સંબંધી, અને જાહેર મંદિરમાં દર્શનાર્થીઓના ટોળે ટોળા કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા એકત્ર થાય છે. બરાબર બાર વાગ્યાના ટકોરે પારણા ઉપરથી આવરણ હટે અને ભગવાનની મૂર્તિ આગળથી પડદા ખસે; ત્યારે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી!’ ના નાદ સાથે સૌ કૃષ્ણને આવકારી આરતી ઉતારે છે. આ ઉપરાંત સમગ્ર પરિવાર એકટાણો, ફળાહાર કે ઉપવાસ પણ રાખે છે.
જન્માષ્ટમી એ શું કરવાથી વિશેષ ફળ મળે છે?
જન્માષ્ટમી એ વિષ્ણુ અને કૃષ્ણની પૂજા કરવી, ગાયોને ઘાસ ખવડાવવું, ગૌ પૂજા કરવી કે અન્નદાન કરવાનો પણ વિશેષ મહિમા હોય છે.
લગ્ન કરવાનો સૌથી સારો મુહૂર્ત કયો છે?
જન્માષ્ટમી એટલે કે ‘ગોકુળ આઠમ’ એ ઉચ્ચતમ મુહૂર્ત હોતા વિવાહ કરવાનો પણ શ્રેષ્ઠ સમય માની ગોકુળિયા લગ્ન કરવાનું ચલણ પણ જોવા મળે છે.
ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે?
ભગવાન શ્રી કૃષ્ણ રાજકુમારી દેવકી અને તેમના પતિ વસુદેવના કુળમાં જન્મેલા આઠમા પુત્ર હતા.
કૃષ્ણ ના ગુરુ કોણ હતા?
ભગવાન કૃષ્ણના ગુરુ મહર્ષિ સાંદીપનિ હતા.
શ્રીકૃષ્ણના મામાનું નામ શું હતું?
શ્રીકૃષ્ણના મામાનું નામ કંસ હતું.
જન્માષ્ટમી કઈ તારીખે છે?
વર્ષ ૨૦૨૪ માં જન્માષ્ટમી ૨૬ ઓગસ્ટના દિવસે છે.
જન્માષ્ટમી નું મહત્વ શું છે?
ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમી! આ ‘જન્મ અષ્ટમી’ એટલે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમી તિથિ, કે જ્યારે કૃષ્ણનો જન્મ થયો. આ દિવસને ‘ગોકુળ આઠમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા વિધિ શું છે?
બાર વાગ્યાના ટકોરે પારણા ઉપરથી આવરણ હટે અને ભગવાનની મૂર્તિ આગળથી પડદા ખસે; ત્યારે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી!’ ના નાદ સાથે સૌ કૃષ્ણને આવકારી આરતી ઉતારે છે. એક તરફ બાળકો અને યુવાઓ મટકી ફોડી પ્રસાદ આપે તો બીજી તરફ લોકોમાં નંદ બનીને બાલ ગોપાલને તૈયાર કરી ટોકરીમાં બેસાડીને નાચવાનો ઉત્સાહ પણ જોવા મળે. તો વળી સ્ત્રી વર્ગમાં રાસ રમવાનો ઉત્સાહ પણ અનેરો હોય છે. સૌ દર્શનાર્થીઓ હરોળમાં ઊભા રહી પોતાની વારી આવવાની પ્રતિક્ષા કરે છે અને કૃષ્ણના પારણાને ઝુલાવવાનો સૌભાગ્ય મેળવે છે. જન્માષ્ટમી એ વિષ્ણુ અને કૃષ્ણની પૂજા કરવી, ગાયોને ઘાસ ખવડાવવું, ગૌ પૂજા કરવી કે અન્નદાન કરવાનો પણ વિશેષ મહિમા હોય છે.
ભગવાન શ્રી કૃષ્ણના માતા અને પિતાનું નામ શું હતું?
ભગવાન શ્રી કૃષ્ણના માતાનું નામ દેવકી અને પિતાનું નામ વસુદેવ હતું.
કૃષ્ણની પ્રથમ પત્નીનું નામ શું હતું?
ભગવાન શ્રી કૃષ્ણના પ્રથમ પત્ની રુકમણી હતા.
