મહા શિવરાત્રી (Maha Shivratri) તારીખ, મહત્વ, કથા અને રોચક તથ્યો | મહા કુંભનું કેન્દ્ર છે સ્વયં શિવ | Maha Kumbh Mela Best Stories 7
મહા શિવરાત્રી તારીખ | Maha Shivratri Date
આમ તો દર મહિને આવતી વદ ચૌદશ શિવરાત્રી કહેવાય છે. પરંતુ ‘મહા’ મહિનામાં આવતી શિવરાત્રી એ ‘મહા શિવરાત્રી’ હોય છે. જેનો મહિમા આ વર્ષે સર્વાધિક છે. કારણ કે અસંખ્ય લોકો આ દિવસે મહા કુંભ મેળામાં અમૃત સ્નાનનો લાભ લીધો છે. માટે પર્વની પાઠશાળા અંતર્ગત ‘મહા કુંભ પ્રકરણ’ માં આજે આપણે શિવ રાત્રિ અને શિવ તત્વ વિશે ચર્ચા કરીશું.
શિવ અને પાર્વતી સંવાદ | શિવ પાર્વતીનો વિવાહ
શિવરાત્રિને લઈને આપણા પુરાણો અને સંસ્કૃતિમાં વિવિધ કથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે આ જ તિથિ એ મહાદેવ અને દેવી પાર્વતીનો વિવાહ થયો હતો. એટલે મોટા ભાગના જાહેર શિવ મંદિરોમાં આ રાત્રિ એ પ્રતિકાત્મક ‘શિવ પાર્વતી વિવાહ’ નો ભવ્ય આયોજન હોય છે. સંપૂર્ણ મંદિરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવે છે. રુદ્ર પૂજા અને રુદ્રાભિષેકના હવન થાય છે. લોકો ડાયરો, ભજન, કીર્તન અને સત્સંગ કરીને ભક્તો આખી રાત શિવ ભક્તિમાં મગ્ન રહે છે.
એક કથા અનુસાર જ્યારે શિવ અને પાર્વતી વચ્ચે સંવાદ ચાલતો હતો, ત્યારે દેવી પાર્વતી એ ભગવાનને તેમના પ્રિય દિવસ વિશે પૂછ્યું. મહાદેવ એ કહ્યું કે મહા વદ ચૌદશ તેમને અતિ પ્રિય છે. ત્યારે દેવી અને સમસ્ત ભૂત ગણ એ સાથે મળીને કૈલાશ પર એ દિવસને શિવરાત્રી તરીકે ઉજવ્યું. એક માન્યતા અનુસાર કહેવાય છે કે આ રાત્રિ એ ભગવાન શિવ સ્વયં ધ્યાનમાં પ્રવેશ કરે છે. એટલે શિવ તત્વ એકદમ જાગૃત હોય છે. માટે અધ્યાત્મના પથ પર ચાલનારા લોકો માટે શિવ તત્વને સમીપ જવા, યોગ, ધ્યાન કે સાધના કરવા માટે આ દિવસ અને રાત્રી ખૂબ જ ખાસ હોય છે.
શિવ તત્વની અત્યંત જાગૃત અવસ્થામાં મનુષ્ય માટે ભક્તિ, જ્ઞાન અને ધ્યાન દ્વારા શિવ સુધી પહોંચવું, શિવને અનુભવ કરવું સરળ રહે છે. માટે મહા શિવરાત્રિનો મહત્વ કુંભના સાધુઓ, સિદ્ધો અને શ્રધ્ધાળુઓ માટે અનેકગણો છે. આખરે કુંભ મેળાનું કેન્દ્ર છે શિવ! અધ્યાત્મના ગુરુ છે શિવ! કુંભ મેળાનું કેન્દ્રસ્થાન એવા શિવ, શક્તિ અને સંગમ નું કુંભ મેળા સિવાય મનુષ્યના અંતરમન સાથે પણ સીધો સંપર્ક છે. જે આપણે આધ્યાત્મ અને વિજ્ઞાન સાથે સમજીશું.

આદિગુરુ શંકરાચાર્ય એ ‘નિર્વાણષટકમ્’ માં કહ્યું છે કે
‘અહં નિર્વિકલ્પો, નિરાકાર રૂપો. વિભુદ્વ્યપ્ય સર્વત્ર, સર્વેન્દ્રીયાણં.
ન ચ સંગતં નૈવ મુક્તિર્ ન બંધ. ચિદાનંદરૂપ: શિવોહમ્ શિવોહમ્.’
અર્થાત્ ‘હું નિર્વિકલ્પ અને નિરાકાર રૂપ છું. સમસ્ત જગત અને સર્વે ઇન્દ્રિયોમાં વ્યાપક છું. જેને સંગત પણ નથી અને મુક્તિ કે બંધન પણ નથી એવો સત્ ચિત આનંદ સ્વરૂપ શિવ હું છું.’ આમ આધ્યાત્મ થકી મનુષ્ય જ્ઞાન દ્વારા શિવ તત્વ અનુભવી શકે છે. તો શરીરનું વિજ્ઞાન પણ તેને શિવાનુભૂતી સુધી લઈ જઈ શકે છે.
મહા કુંભ અને મહા શિવરાત્રી
મહા કુંભમાં બધા સાધુઓ, યોગીઓ, સિદ્ધો અને શ્રધ્ધાળુઓ વિવિધ રીતે શિવ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. કોઈ જ્ઞાન માર્ગ અનુસરીને દ્વૈતથી અદ્વૈત સુધી પહોંચે છે. તો કોઈ ભક્તિ માર્ગથી ભગવાન સુધી પહોંચે છે. એ સિવાય યોગ, ધ્યાન અને સમાધિ પણ બ્રહ્મ અને બ્રહ્માંડને જોડતી કડી બને છે. આપણા શરીરના સાત આધ્યત્મિક ચક્ર એ ઊર્જાના કેન્દ્ર હોય છે. જે જાગૃત થતા અસામાન્ય શક્તિ, આધ્યાત્મિક ઉન્નતિ સાથે શિવ તત્વાનુભૂતી આપે છે. કુંભનો અભિન્ન અંગ એવા સિદ્ધો મેળા દરમિયાન પોતાના ગુરુઓ પાસેથી શિક્ષા અને દીક્ષા મેળવીને અખાડા અને મઠોમાં સાધના કરી શિવમાં કેન્દ્રિત થવાનો અભ્યાસ કરે છે.
મહા શિવરાત્રી ગીત મંત્ર
મહા શિવરાત્રી માં શું કરવું?
જેમ યોગ, જ્ઞાન અને ધ્યાનથી ચક્ર જાગૃત થાય એવી રીતે સંગીત થકી પણ આધ્યાત્મ સ્તરે આગળ વધી શકાય છે. જો વ્યક્તિગત ધોરણે વાત કરીએ તો એક મ્યૂઝિક થેરાપિસ્ટ તરીકે ૨૦ વર્ષના સંગીત અને રિસર્ચ ક્ષેત્રના અનુભવમાં એ જાણવા મળ્યું છે કે સંગીતના ધ્વનિ તરંગોની સીધી અસર ચક્ર પર થાય છે. મેડિટેશન કરવા માટે પણ વિશેષ પ્રકારનું સંગીત વપરાય છે. સાત સુરો અને સાત ચક્રો નો સંગમ મનુષ્યની વિવિધ શારીરિક, માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓ ઉકેલી શકે છે, તો આધ્યાત્મિક સ્તરે આગળ વધવામાં પણ સહાય કરે છે. આમ, યોગ, ધ્યાન, જ્ઞાન અને સંગીત એ જીવને શિવ સુધી લઈ જનારા માર્ગો છે. અને જ્યારે શિવ તત્વ સ્વયં ધ્યાનસ્થ થઈને એકાકાર થવા માટે જાગૃત હોય ત્યારે આપણું ફક્ત પ્રયત્ન કરવું જ ઘટે.
મહા કુંભમાં સાધુઓ અને સિદ્ધો મહા શિવરાત્રીના જો સાધના દ્વારા શિવ સુધી પહોંચવા પ્રયત્નશીલ હોય તો આપણે પણ આધ્યાત્મિક જ્ઞાન, ધ્યાન અને સંગીત સાથે સાત ચક્રના સંગમમાં ડૂબકી લગાવીને શિવ સુધી જવાનો પ્રયત્ન તો કરી જ શકીએ. આ ‘મહા કુંભ’ તો હવે ફરી ૧૪૪ વર્ષ બાદ આવવાનો છે જ્યારે આપણે હાજર નહીં હોઈએ; પરંતુ આગામી અર્ધ કુંભ અને પૂર્ણ કુંભ સુધી કમ સે કમ કોઈ એક માર્ગ પર ચાલવાનો નિયમ કેળવીને આધ્યત્મિક યાત્રાની શરૂઆત તો કરી જ શકાય.
પર્વની પાઠશાળામાં મહા કુંભ પ્રકરણ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે અમારા વાચક મિત્રો, આપણે સાથે મળીને પોતાની આધ્યાત્મિક યાત્રા શરૂ કરવાનું સંકલ્પ જરૂર લઈએ. છ વર્ષ બાદના અર્ધ કુંભ કે બાર વર્ષ પછીના પૂર્ણ કુંભ સુધી પોતાના આધ્યાત્મિક સ્તરનું અવલોકન જરૂર કરીએ.
The article is written by the best-seller author Dr. Krupesh Thacker.
