યોગિની એકાદશી ક્યારે છે? | યોગિની એકાદશીનું મહત્વ, પૂજા વિધિ અને એકાદશી વ્રતની મહિમા | Best Stories About Culture
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
યોગિની એકાદશી હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથીએ ઉજવાતી આ એકાદશી ખાસ કરીને પાપોનું નાશ અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ છે. શાસ્ત્રો અનુસાર, યોગિની એકાદશીનું વ્રત 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાના પુણ્યના બરાબર માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરીને મનુષ્ય પોતાના તમામ પાપોનું નાશ કરી શકે છે.
योगिनी नाम सा प्रोक्ता सर्वपापप्रणाशिनी।
तस्यां कृतं व्रतं पुण्यं संपूर्णं कोटिकोटिभिः॥
આ એકાદશી “યોગિની” નામથી પ્રસિદ્ધ છે. તે સર્વ પાપોને નષ્ટ કરનાર છે. પદ્મ પુરાણના ઉત્તર ખંડ અનુસાર આ દિવસે જે પણ વ્રત કરે છે, તેનું પુણ્ય કરોડો વ્રતો કરતા પણ વધુ ગણાય છે.
“યોગિની” એ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ છે – યોગકરનાર (અથવાયોગમાંસ્થિત). અહીં “યોગ”નો અર્થ માત્ર આસન-પ્રાણાયામ નહિ, પણ આત્માનુંપરમાત્માસાથેજોડાણ છે. તેથી “યોગિની એકાદશી” એ એવો દિવસ છે, જ્યારે આત્માને ભૌતિક લાલસાઓથી દૂર રાખીને ઈશ્વર સાથે જોડવાનું શ્રેષ્ઠ યોગ સાધન છે.

યોગિની એકાદશીનો ઇતિહાસ

યોગિની એકાદશીના ઇતિહાસ વિશે જાણીએ તો અલકાપુરીમાં (જોકાર પ્રદેશમાં), કુબેરનો એક ઉપવન હતો – મણિભદ્રવન. તેનું રક્ષણ એક યક્ષ કરતાં હતા, નામ હતું હેમમાલી. હેમમાલી રોજ મૈત્ર્ય ઋષિ માટે પોતાની ફરજ અનુસાર તાજાં ફૂલો લાવીને ભગવાન શિવની સ્તુતિ માટે અર્પણ કરતા. તે પોતાની સુંદર પત્ની વિષ્ણુમાલાને ખૂબ પ્રેમ કરતા હતા.
એક દિવસ, હેમમાલી પોતાની ફરજ ભૂલીને પત્ની સાથે વિલાસમાં મગ્ન રહ્યા અને શિવપૂજા માટે ફૂલો સમયસર લાવવા ગયા નહિ. મૈત્ર્ય ઋષિ તેમની રાહ જોતાં રહ્યા. જ્યારે તેઓએ ખૂબ સમય સુધી રાહ જોઈ, અને હેમમાલી ના પહોંચતા તેઓ ક્રોધિત થયા. જ્યારે હેમમાલી ખૂબ મોડું ફૂલ લઈને પહોંચ્યા, ત્યારે ઋષિએ કહ્યું: “તને ભગવાન શિવની સેવા માટે નિમિત્ત બનાવવામાં આવ્યો છે, પણ તું કર્મવિમુખ બની પડ્યો છે. તારો પ્રેમ તથા કામવાસના તને અધર્મ તરફ લઈ ગઈ છે. તેથી હું તને શ્રાપ આપું છું કે તું કુષ્ઠ રોગથી પીડિત થઈને પૃથ્વી પર પડી રહે.”
ઋષિનો શ્રાપ મળતા હેમમાલી તરત જ કુષ્ઠ રોગથી પીડિત બની ગયો. શરીર પર ઘાવ, દુર્ગંધ, અને દુઃખોથી તે પીડાતો રહ્યો. તેનું સુંદર સ્વરૂપ ક્ષીણ થઈ ગયું અને પત્ની, કુટુંબ, દેવલોક બધાથી ત્યજાયેલો બની ગયો. હવે તે દયાની દશામાં હિમાલય તરફ ભટકતો રહ્યો.
એક દિવસ, તે અત્યંત દુઃખી મનસ્થિતિમાં મૃગશિર્ષ મુનિની ગુફા પાસે પહોંચ્યો. મુનિને તેને જોઈને પુછ્યું: “હે યક્ષ! તું કોણ છે અને તું આવી દયનીય સ્થિતિમાં કેમ છે?” હેમમાલીએ રડી-રડીને પોતાની આખી ઘટના કહી અને શાંત અવાજે પુછ્યું: હે મહાત્મા, શું હું આ પાપોથી મુક્ત થઈ શકું છું? કૃપા કરીને મને માર્ગ બતાવો.” મુનિએ કરુણાભાવથી કહ્યું: “તું આવતા અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી કે જે યોગિની એકાદશી છે, એ દિવસે ઉપવાસ કરી પૂજા કરજે. આ વ્રત તને બધા પાપોથી મુક્ત કરશે.”
હેમમાલીએ સંપૂર્ણ શ્રદ્ધા અને શુદ્ધ મનથી યોગિની એકાદશીનું વ્રત કર્યો. રાત્રિ જાગરણ કર્યું, ભગવત કથા અને નામ જપ કર્યા. દિવસે દાન કરીને વ્રત પૂર્ણ કર્યું. આ વ્રતના પરિણામે તેને પાપોથી મુક્તિ મળી. તેનું શરીર શુદ્ધ અને સ્વસ્થ થયું અને તેણે દેવલોકમાં પુનઃ પોતાનું સ્થાન મેળવી લીધું.
આ કથા આપણને શીખવે છે કે ભગવાનની સેવામાં નિષ્ઠા રાખવી જોઈએ. કામવાસના કે અહંકાર જેવા પાપો આપણને પતન તરફ દોરે છે. પણ ભક્તિ, વ્રત અને તપથી પશ્ચાતાપ કરી પુનઃ મુક્તિ મેળવી શકાય છે.
યોગિની એકાદશી ની પૂજાવિધિ
યોગિની એકાદશી ની પૂજાવિધિ ની વાત કરી એ તો યોગિની એકાદશીનું વ્રત નિર્વિકાર અને નિર્મળ મનથી રાખવું જોઈએ. જો સંપૂર્ણ ઉપવાસ ન થઈ શકે તો ફળાહાર લેવો. વહેલી સવારે સ્નાન કરીને વ્રત માટે સંકલ્પ લેવો. ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્રને સ્વચ્છ જગ્યા પર સ્થાપિત કરીને તુલસી પત્ર, ફૂલ, ઘીનો દીવો, ધૂપ, નૈવેદ્ય વડે પૂજા કરવી. “ૐ નમો ભગવતે વાસુદેવાય” નો જાપ કરવો. યોગિની એકાદશીની પૌરાણિક કથા સાંભળવી અથવા વાંચવી. દ્વાદશીના દિવસે ઉપવાસ તોડવો અને જરૂરિયાતમંદોને દાન કરવું.
યોગિની એકાદશી માત્ર ઉપવાસ નહીં, પણ આત્માની શુદ્ધિ અને ભક્તિનો એક મોટો ઉત્સવ છે. આ વ્રત મન, શરીર અને કર્મને પવિત્ર બનાવે છે. જે ભક્ત શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે, તેને લોક અને પરલોક બંનેમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. યોગિની એકાદશી એ મોક્ષ તરફનો એક મહાન પગથિયો છે – આ અવસરે ભક્તિ, ઉપવાસ અને સેવા દ્વારા જીવન નિખારવાનો પ્રયાસ કરીએ.”
યોગિની એકાદશી માટેના ભક્તિ ગીતો | Yogini Ekadashi Special Devotional Songs
પર્વ ઠક્કર, વાચા ઠક્કર અને ડૉ. કૃપેશ ઠક્કર (પર્વ ફ્યુઝન બેન્ડ) દ્વારા ગાયેલ ભગવાન કૃષ્ણ, ગણેશ, શ્રી રામ, હનુમાન, ભગવાન શિવ અને માતા લક્ષ્મીના ભજન અને ભક્તિ ગીતો.
