શા માટે ઉજવાય છે રક્ષાબંધન? | જાણો રક્ષાબંધનનું મહત્વ અને ઈતિહાસ | રાજા બાલી અને માતા લક્ષ્મી | Raksha Bandhan History, Significance, Importance, Rituals
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
વિશ્વભરમાં વસતા હિન્દુઓને એક તાંતણે બાંધી રાખતો પર્વ એટલે ‘રક્ષાબંધન’. શ્રાવણ માસની પૂર્ણિમા એ ઉજવાતો આ પર્વ ‘રાખડી પૂનમ’ અને ‘રાખી તહેવાર’ નામે પણ ઓળખાય છે.
સનાતનમાં રક્ષાબંધનનો ઉજવવાનો ઈતિહાસ
એક ભાઈ અને બહેનના વિશિષ્ટ પ્રેમના પ્રતિક એવો આ તહેવાર પૌરાણિક કાળથી ઉજવાતો આવે છે. દેવોના રાજા ઇન્દ્ર અને ઇંદ્રાણી હોય કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદી! કાચા દોરા સાથે અતૂટ રક્ષાનું વચન પાળવાની એ પ્રથા આજે પણ અકબંધ છે. રક્ષાની એ દોરીએ ઇન્દ્રને યુદ્ધમાં વિજય અપાવી તો દ્રૌપદીના સન્માનની રક્ષા પણ કરી. વળી ભારતના ઇતિહાસમાં એવા કેટલાય પ્રસંગો બન્યા છે. જેમાં રાજ્યની રક્ષા કરવા માટે રાખડીના બંધનની આગવી ભૂમિકા રહી હોય. રોચક વાત તો એ છે કે પર્વની પાઠશાળામાં અગાઉ ચર્ચા કરેલી કથામાં જ આ તહેવારના મૂળ રહેલા છે. જે આપણે આગળ જાણીશું.

રક્ષાબંધન ઉજવવાની રીત અને રાખડી બંધાવાની પૂજા વિધિ
કોઈ પણ પ્રાંત હોય, રાજ્ય હોય કે પછી કોઈ પણ દેશ; આપણી સંસ્કૃતિને અનુસરતા લોકો રક્ષાબંધનને દિવસે વહેલા ઉઠી, સ્નાન કરી, પૂજા પાઠ કરી, મુહૂર્ત પ્રમાણે પોતાના ઈષ્ટ દેવોને પરિવારની રક્ષા કાજે રાખડી બાંધે છે. ઘરમાં ભાઈને ભાવે એવા મિષ્ટાન્ન અને પકવાન બન્યા હોય, સગા સંબંધીઓનો ઘેરાવો હોય, સૌ કોઈ મનગમતા નવા વસ્ત્રોમાં સુસજ્જિત હોય અને સાથે અવનવી ભેટ સોગાદની હરોળ પણ. રક્ષાબંધનમાં બહેન ભાઈને ભાલે તિલક કરી, તેને કંકુ ચોખા થી વધાવે, તેની કલાઈ એ રક્ષા સૂત્ર બાંધે અને ભાઈને મનગમતી મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવે. તો ભાઈ બહેનને પગે લાગીને આશીર્વાદ લે અને બહેનને ગમતી ભેટ અર્પણ કરે. આ ચિત્ર દરેક ઘર અને પરિવારમાં જોવા મળે જ.


વળી આ પર્વને દેશ, કાળ કે પરિસ્થિતિના સીમાડા નડતાં નથી. જો બહેન કે ભાઈ એક બીજાથી દૂર પણ હોય, તોય એમનો પ્રેમ આજે પણ કાગળમાં લખાઈ, કવરમાં પેક થઈ અને કુરિયર મારફતે એક બીજા સુધી પહોંચે જ છે. બહેન ભાઈ માટે અણમોલ રાખડી કવરમાં મોકલે તો; ભાઈ પણ બહેન માટે તેની મનગમતી ભેટ પહોંચતી કરે છે. વિદેશમાં વસતા સંબંધો વિડીયો કોલ માધ્યમે એક્મેક સાથે જોડાઈ આ પર્વની ઉજવણી કરે છે. રાખી ની હ્રદય સ્પર્શે એવી ઘટના તો ત્યારે બને જ્યારે સરહદ પર લડતા જવાનો, કે જે પોતાના પરિવારથી દૂર રહે છે.
તેમની રક્ષા માટે દેશભક્તિનું ઉદાહરણ બનતી બહેનો કોઈ પણ સંબંધ વિના તેમને રાખડી બાંધવા પહોંચી જાય છે. રક્ષાબંધનના તહેવારના રંગોથી ફક્ત ઘરો જ નહીં પણ શેરીઓ અને બજારો પણ રંગાયેલા રહે છે. સામાન્યતઃ પંદર વીસ દિવસ પહેલા થી જ દુકાનો અવનવી રાખડીઓ થી ઝળહળતી હોય છે. વળી કાપડ, ગિફ્ટ શોપ અને મીઠાઈની દુકાનો તેમજ શોપિંગ મોલમાં આ તહેવારની થીમનું ડેકોરેશન તો ખરું જ! રક્ષાબંધન એક એવો તહેવાર છે જેની નાના-મોટા સૌને પ્રતિક્ષા રહે છે. જો કે આ તહેવારની મૂળ કથા પણ એક પ્રતિક્ષા થી જ શરૂ થઈ છે.
રક્ષા બંધન વિશે માહિતી અને મહત્વ
વાત છે એ સમયની જ્યારે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ દાનવરાજ બલિ સાથે પાતાળલોકમાં ગયા હોય છે. એ વાર્તાની ચર્ચા આપણે ‘પર્વની પાઠશાળા’ માં અગાઉ કરેલી. હવે વિષ્ણુના વિરહમાં માતા લક્ષ્મી વિહવળ થયા. વળી તેમની અનુપસ્થિતિમાં સૃષ્ટિના સંચાલનની વ્યવસ્થા પણ જોવાની હતી. માતા લક્ષ્મીને ભગવાન વિષ્ણુની પ્રતિક્ષામાં વ્યથિત જોઈ દેવર્ષી નારદ તેમની પાસે ગયા અને ભગવાનને પાછા લઈ આવવાની કામના કરી. એવામાં માતા પાસે પોતાના સ્વામી વિષ્ણુને પાછા લઈ આવવાનો એક જ ઉપાય હતો. જેની માટે શ્રાવણ માસની પૂર્ણિમા એ માતા લક્ષ્મી સ્વયં પાતાળ લોક ગયા.

માતા લક્ષ્મી એ બલિરાજાને ભાઈ માન્યા
બલિરાજ એ દેવીને પૂર્ણ શ્રદ્ધાથી આવકાર્યા અને પૂજન અર્ચન અર્પણ કર્યા. તેઓ બલિરાજાની ભક્તિ અને સમર્પણથી પ્રસન્ન થયા. માતા લક્ષ્મીને કોઈ ભાઈ ન હતો. માટે માતા એ બલિરાજાને પોતાના ભાઈ માન્યા. બલિરાજા ભાઈ હોવાનું સૌભાગ્ય પામી ગદગદ થયા. માતા એ વિધિવત બલિ રાજા ને કાંડે રક્ષા સૂત્ર બાંધ્યું. જ્યારે બલિરાજ એ એક ભાઈ તરીકે બહેનને ભેટ આપવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે માતા લક્ષ્મી એ ભેટમાં પોતાના સ્વામી ભગવાન વિષ્ણુની વાપસી માંગી લીધી.
ભાઈ બલિ રાજા એ પોતાનું વચન પાળ્યું. ભગવાન વિષ્ણુ પાસેથી પ્રત્યેક વર્ષ માટે ફક્ત ચાર મહિના માંગીને તેમણે ભાઈ હોવાની ફરજ પાડી. માટે જ એ દિવ્ય ઘટનાની મહિમા ને યાદ કરતાં જ્યારે બહેન ભાઈને રાખડી બાંધે ત્યારે આ શ્લોક બોલવાની પરંપરા સનાતન સંસ્કૃતિ એ આપેલી છે કે “યેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ:, તેન ત્વાં અનુબદ્ધામી રક્ષં અચલ: અચલ:.”
અર્થાત જે બંધનથી મહાબળવાન બલિરાજા બંધાયા હતા. એ જ પવિત્ર બંધન હું તને બાંધું છું. આમ જ અચળ રહી તું મારી રક્ષા કરજે. આ દિવ્ય ભાવનો પ્રતીક એટલે ભાઈને કાંડે બહેને બાંધેલી રાખડી અને જે બંધનથી દેવો પણ બંધાયેલા છે; એવી મહિમા છે ‘રક્ષાબંધન’ પર્વ ની!
રક્ષાબંધન વિશેષ ભાઈ બહેનના ગીતો
પર્વ ઠક્કર, વાચા ઠક્કર અને ડૉ. કૃપેશ ઠક્કર (પર્વ ફ્યુઝન બેન્ડ) દ્વારા ગાયેલ ભાઈ બહેન માટેના ગીતો.
રક્ષાબંધન નું બીજું નામ શું છે?
રક્ષાબંધનને કેટલાક રાજ્યોમાં નારિયેળ પૂર્ણિમા કહેવાય છે. ઉત્તર ભારતમાં શ્રાવણ પૂર્ણિમાને કજરી પૂર્ણિમા તરીકે ઓળખાય છે અને દક્ષિણ ભારતમાં અબિત્તમ તરીકે ઓળખવામાં આવે છે
રક્ષા બંધન કેમ મનાવવામાં આવે છે?
રક્ષાબંધન હિન્દુઓનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે. એક ભાઈ અને બહેનના વિશિષ્ટ પ્રેમના પ્રતિક એવો આ તહેવાર પૌરાણિક કાળથી ઉજવાતો આવે છે. દેવોના રાજા ઇન્દ્ર અને ઇંદ્રાણી હોય કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદી! કાચા દોરા સાથે અતૂટ રક્ષાનું વચન પાળવાની એ પ્રથા આજે પણ અકબંધ છે. રક્ષાની એ દોરીએ ઇન્દ્રને યુદ્ધમાં વિજય અપાવી તો દ્રૌપદીના સન્માનની રક્ષા પણ કરી.
રક્ષા બંધન ક્યારે છે?
આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ 2024, સોમવારે દેશભરમાં ઉજવવામાં આવશે.
રક્ષાબંધન પૂનમ ક્યારે છે?
પંચાંગ અનુસાર, આ વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટને સોમવારે છે. ત્યારે ઉદયાતિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટના રોજ સોમવારે ઉજવવામાં આવશે.
રાખડી બાંધવાનું મુહૂર્ત ક્યારે છે?
19 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનું શુભ મુહૂર્ત બપોરે 1:30 વાગ્યાથી લઈને રાત્રે 9:08 વાગ્યા સુધી છે.
